Pages

Saturday, March 31, 2012

સૌંદર્ય પામતા પહેલા

 એમને ચરણે જ્યારે મેં મસ્તક ધર્યું કે તરત જ મારાં ચક્ષુઓમાંથી આંસુની ધારા વહેવા લાગી. ચાંદની રાતમાં જાણે હિમાલય અતિ મીઠાશથી બોલતો હોય તેમ તેમણે બહુ જ ધીમેથી મને પૂછ્યું :
‘વત્સ ! મારાં ચરણો ઉપર મોતી ખરતાં હોય એવું લાગે છે.’
‘જી હા, એ મારાં આંસુ છે.’
‘મને મળવાથી તારામાં આટલો બધો આનંદ ઊભરાય છે ?’
મેં કહ્યું : ‘કૃપાનાથ ! એ આંસુ આનંદનાં નથી પણ દુઃખનાં છે.’
તેમણે આશ્ચર્યથી પૂછ્યું : ‘દુઃખ ? મેં તને આપવામાં કંઈ બાકી રાખ્યું છે ?’
‘જી, નહીં. સર્વ પ્રકારની સુખસમૃદ્ધિ છે. છતાં પણ દુઃખ થાય છે. હૃદય બળ્યા કરે છે. આપે દુઃખ શા માટે પેદા કર્યું ? જવાબ આપો.’
આ સાંભળીને તેમણે મને હાથ પકડીને ઊભો કર્યો અને પૂછ્યું :
‘દૂર પૂર્વમાં દેખાય છે તે શું છે ?’
‘સૂર્ય.’
‘સૂર્ય અંધકારને જાણે છે ? એને ખબર જ નથી કે અંધકાર શું છે. એ તો શાશ્વત પ્રકાશ છે. એના અસ્ત પછી અંધકાર થાય છે. એનો અર્થ એ નથી કે અંધકાર સૂર્યમાંથી પ્રગટ થયો છે. અને તું મને શું કહીને પોકારે છે ?’
‘પરમ આનંદ !’
‘બસ ત્યારે, હવે તું જ કહે, જો હું સંપૂર્ણ આનંદ છું તો પછી હું દુઃખને ઉત્પન્ન કેવી રીતે કરી શકું ? આ સૃષ્ટિ ઉપર મેં ખૂણે ખૂણે સુખ અને સમૃદ્ધિ પાથર્યાં છે. તારી જરૂરિયાતો પૂરી થાય એટલા માટે મેં ધરતીમાં અનાજના ભંડાર ભર્યા છે, પાણી મળે એવી વ્યવસ્થા કરી છે, જીવવામાં તકલીફ પડે નહીં એટલા માટે વાયુ તથા પ્રકાશને તારી સેવામાં હાજર રાખ્યા છે અને આ ઉપરાંત તારા મોજશોખ માટે મેં રંગબેરંગી પુષ્પો ઉત્પન્ન કર્યાં છે. પક્ષીઓના કંઠમાં સંગીત મૂક્યું છે, સુંદર અને મધુર ફળ પાકે એવી વ્યવસ્થા કરી છે અને આકાશમાં અદ્દભુત સૌન્દર્ય પાથર્યું છે. મેં તો ચારે બાજુ સુખનું અને આનંદનું જ સર્જન કર્યું છે, પણ આ સુખ તું જીરવી ન શક્યો એટલે તેં જ દુઃખ ઉત્પન્ન કર્યું છે. દુનિયામાં જે કંઈ દુઃખ દેખાય છે એ તમે લોકોએ જ પેદા કર્યું છે. બાકી હું તો દુઃખ જેવો શબ્દ પણ જાણતો નથી.’
આ સાંભળીને મારી આંખમાંથી હર્ષનાં આંસુઓ વહેવા લાગ્યાં અને સૃષ્ટિમાં મને ચારે બાજુ સૌંદર્યનાં જ દર્શન થવા લાગ્યાં.

-વજુ કોટક
[‘પ્રભાતનાં પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર.]
 

No comments:

Post a Comment