Pages

Tuesday, March 27, 2012

પ્રભાતનાં પુષ્પો


બસને શેઠસાહેબ ! આખરે તો મેં ધાર્યું હતું એવું જ નીકળ્યું. લોકો તમારા બહુ વખાણ કરતા હતા, પણ આ તો વખાણી ખીચડી દાંતે વળગી. તમે મહાન કરોડપતિ ગણાઓ છો પણ તમારી સાથે પડેલા પ્રસંગ પછી મને લાગ્યું કે તમારા કરોડો રૂપિયા ધૂળ જેવા છે. દોલત ભેગી કરી છે પણ એમાંથી એક પાઈ પણ તમને વાપરતાં આવડતી નથી. એમ તો તમારી પાસે ફક્ત હજારેક રૂપિયા આ સંસ્થા માટે લેવા આવ્યા હતા, પણ હજારનું નામ સાંભળીને જ તમારું હૃદય ફફડી ઊઠ્યું. તમે બોલી ઊઠ્યા : ‘હમણાં તો વેપાર બરાબર ચાલતો નથી. બજારમાં બહુ મંદી આવી ગઈ છે. કોઈ હિસાબે ખરચા કરવા પોસાય એમ નથી. અમે તો મરી ગયા છીએ.’
આવું આવું તમે ખૂબ બોલ્યા. અને મને મનમાં થયું કે કરોડોની દોલત ધરાવતો આ માનવી ખરેખર ભિખારી જેવો છે ! અને વાત પણ સાચી છે. માણસ ધનિક હોવા છતાં પણ જ્યારે કોઈને કંઈ આપવાનું આવે ત્યારે રોદણાં રડવા બેસે એ ભિખારી નહીં તો બીજું શું ? જો તમે ધાર્યું હોત તો ઓછા પૈસા પણ આપી શકત. અમે સંતોષ માનત. પણ આ તો આપવાની વાત આવી ત્યાં જ તમને તાવ આવી ગયો. પૈસા છે એટલે ભલે તમે શેઠ ગણાઓ, પણ અમારી નજરમાં તમે શેઠ નહીં પણ શઠ ઠરી ચૂક્યા છો. યાદ રાખજો શેઠસાહેબ કે આ દુનિયામાં જે માનવી આપી શકે છે એ જ ખરો શેઠ છે. જગતમાં બીજાને માટે કંઈ કરી જનારાઓ જ અમર રહ્યા છે. ઈતિહાસને ચોપડે કદી લોભી પુરુષોનાં નામ લખાયાં નથી એ ભૂલી જતા નહીં. બેન્કમાં જમા થયેલી લક્ષ્મી તમે મૃત્યુ પામશો કે તરત જ એનું મૃત્યુ થશે, પણ પરહિત કાજે વાપરેલું નાણું તમને મૃત્યુ બાદ પણ શેઠ તરીકે ઓળખાવશે એ તમે નથી જાણતા. સંઘરી રાખેલી વસ્તુ આખરે નાશ પામે છે, પણ વાપરેલી ચીજ સદા અમર રહે છે. તમે લક્ષ્મીનો સંગ્રહ કરીને બેઠા છો અને મનમાં ફુલાઓ છો કે તમે મહાન કરોડપતિ છો. હાથની એક બાજુ તમે સખત દોરી બાંધશો તો તે બીજી બાજુ ફૂલી જશે અને ફૂલી ગયેલો હાથ જોઈને તમે એમ માની બેસો કે તમારામાં લોહી વધી ગયું છે ! આવી છે તમારી જિંદગી ! સોજો ચડી ગયેલા દેહને તમે તંદુરસ્ત માની બેઠા છો.’
ભૂમિમાં એક દાણો વાવશો તો કુદરત તમને હજારગણા દાણા આપશે. વડલાના એક નાના એવા બીજમાંથી જાજરમાન વડલો પ્રગટ થાય છે એ શું તમે નથી જાણતા ? પરહિત કાજે ખરચેલી એક પાઈની કિંમત, અંગત સ્વાર્થ અને વિલાસ માટે ખરચેલ લાખ્ખો રૂપિયા કરતાં વધુ છે, કારણ કે એકનો હિસાબ સ્વર્ગના ચોપડે જમા થાય છે ત્યારે બીજાનો તો સીધો જ ધુમાડો થઈ જાય છે. લાખ રૂપિયાના વ્યાજ કરતાં પણ આવી રીતે પાઈનું વ્યાજ વધુ આવે છે ! લક્ષ્મીને તમે બાંધી બેઠા છો, કોઈને કંઈ આપવું નથી અને નામ મેળવવું છે. શેઠ કહેવડાવવું છે. જો પૈસાને જોરે જ, કોઈને એક પણ પાઈની મદદ કર્યા વિના તમારે ઉચ્ચ ગણાવવું હોય તો તે ભૂલી જજો. એવા પૈસા તો આજકાલ ચમારને ઘેર પણ ઊભરાઈ ઊઠ્યા છે.
એક વખત સ્વર્ગમાં દરબાર ભરાયો હતો. દરવાજા પાસે બે માણસો આવીને ઊભા રહ્યા. દરવાને એક માણસને દાખલ કર્યો કે તરત જ બીજા માણસે વાંધો ઉઠાવ્યો. તેણે કહ્યું :
‘આ માણસ ભિખારી છે. અમારી દુનિયામાં તે ભીખ માગતો હતો.’
દરવાને પૂછ્યું : ‘ત્યારે તમે શું કરતા હતા ?’
જવાબ મળ્યો : ‘હું તો મોટો કરોડપતિ છું.’
દરવાને જવાબ આપ્યો : ‘માફ કરજો સાહેબ, અહીંના ચોપડામાં તમારા નામે જમા થયેલી એક પાઈ પણ નથી. આ ભિખારીએ બહુ જ દુઃખી સ્થિતિમાં બીજા એક ભિખારીને બે આનાની મદદ કરી હતી. એના બે આના અહીં જમા કરવામાં આવ્યા છે. માફ કરજો, હું તમને દરબારમાં દાખલ નહીં કરી શકું.’
મને પણ ભય છે કે તમારું જીવન આમ ચાલ્યું જશે તો સ્વર્ગને દરવાજે તમારી આ જ સ્થિતિ થવાની છે. જો તમારે ખરેખરા શેઠ થવું હોય તો આપતાં શીખો. આપનારનો ભંડાર કદી પણ ખૂટતો નથી. જે શુદ્ધ ભાવે કોઈ પણ જાતના બદલાની આશા વિના આપે છે એને કુદરત અનેકગણું આપી રહે છે.

– વજુ કોટક
[‘પ્રભાતનાં પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર.]

No comments:

Post a Comment