Pages

Tuesday, August 17, 2010

પિતાનું આપણા જીવનમાં કેટલું મહત્વ?

માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.  પણ ઘરના આ અસ્તિત્વ ને આપણે  ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ?  પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું  કે નથી બોલવા માં આવતું.  કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,  સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે જ વધારે કહે  છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગાયા છે.  લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.  સારી વસ્તુને માતાની જ ઉપમા આપવામાં આવે છે.  પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પનાને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોય છે.  આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા જ હશે પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?

માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ  મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છે ને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.

રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ?   બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી કારણ કે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે.  પોતાની માતા મૃત્યુ પામે તો પણ પિતા રડી શકતા નથી  કારણ કે બહેનને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડીને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.

જીજાબાઇએ  શિવાજીને  ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત ને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દેવકી-યશોદાના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે  લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.  રામ  એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર  વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.

પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનુ ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે ' આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે '.  તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે.  દીકરા દીકરીને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો  લેંઘો જ  વાપરશે. સંતાનો  ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે  સલુનમાં જઈને બીલ કરશે પણ તેમના જ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો  હશે  તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે.

પિતા માંદા પડે ત્યારે તરત જ  દવાખાને  જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો  ડોક્ટર એકાદ મહિનો  આરામ કરવાનું કહી દેશે તો  શું કરવું તેનો ડર લાગે છે  કારણ કે દીકરીના લગ્ન અને દીકરાનું  શિક્ષણ બાકી હોય છે.  ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.  પહોચ  હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે.  ખેંચ ભોગવીને પણ  બાળક ને  નિયમિત  હોસ્ટેલમાં પૈસા મોકલે છે, પણ કેટલાક દીકરાઓ  જે તારીખે પૈસા મળે તે જ તારીખે પરમીટરૂમમાં પાર્ટીઓ આપે છે  અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે.

પિતા ઘરનું અસ્તિત્વ  હોય છે. જે ઘરમાં પિતા હોય છે તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી  કારણ કે ઘરના કર્તાહર્તા  જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન  હોય તો પણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.

માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધે જ અર્થ મળે છે એટલે કે પિતા હોય તો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતા જ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડાના પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.  બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમથી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.

દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ  “ઓં માં”  આ શબ્દો મોઢામાંથી બ્હાર પડે છે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારે તો  “બાપ રે” આ જ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો  ચાલે પણ મોટી સમસ્યાઓના વાદળો ઘેરાય ત્યારે પિતા જ યાદ આવે.

કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણના પ્રસંગે પિતાએ જ જવું પડે છે.   પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.

યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતા જ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.    દીકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા  પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?

પિતાનું મહત્વ કોને સમજાય છે ?

બાળપણમાં જ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ  ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે  ઘરની દીકરી !  સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી  દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.

કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજમાં નથી બનતા?  દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ  રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?

આપણી પાસે તો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ.  તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણા જ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.

નોંધ : આ લેખ મોકલનાર શ્રી દિનેશભાઇ શાહનો આભાર

No comments:

Post a Comment